ગઢડા, તા. ૧૦ ત્રણ માસ પૂર્વે જ નિયુક્ત થયેલાં ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પાસેથી જિલ્લા પ્રમુખે એકાએક અગમ્ય કારણોસર રાજીનામું માંગી લેતાં બોટાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
સંઘના નતાને જન્મદિવસની શુભેચ્છા આપવાના કારણે રાજીનામું માંગી લેવાયું હોવાનો પ્રમુખના દાવા સામે જિલ્લા સંગઠને મૌને સેવ્યું છે. જો કે, રાજીનામું માંગી લેવા પાછળના કારણોને લઈ વિવિધ અટકળો અને તર્ક શરૂ થયા છે.
સંઘના નેતા સંજય જોષીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાને કારણે રાજીનામુ લઇ લેવાયું છેઃ તાલુકા પ્રમુખનો દાવો

બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાજપમાં ચર્ચાનું કેન્દ્ર બનેલાં બનાવની વિગત એવી છે કે, બોટાદ જીલ્લા ભાજય પ્રમુખ મયુર પટેલે અંદાજે ત્રણ માસ પૂર્વે જ ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પદે વરણી પામેલાં પ્રકાશ સાંકળિયાને મૌખિક સૂચના આપી પ્રખુખ પદેથી રાજીનામું ધરી દેવા સૂચના આપી હતી.
તાલુકા પ્રમુખ સાંકળિયાએ જિલ્લા પ્રમુખ તરફથી રાજીનામું માંગી લેવામાં આવ્યું હોવાની ચર્ચાને સમર્થન આપ્યું હતું, તેમણે બચાવમાં જણાવ્યું કે, ચાર દિવસ પૂર્વે સંઘ અને ભાજપના નેતા સંજય જોષીને તેમના જન્મદિવસ નિમિતે ફેસબુક પર હેપ્પી બર્થ ડે કહીને તસવીરો સાથેની શુભેચ્છા પાઠવી હતી. જેના કારણે રાજીનામું માંગી લેવામાં આવ્યું હોવાનું દાવા સાથે જણાવ્યું હતું.
સામાપક્ષે, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પ્રદેશની સૂચનાથી પ્રકાશ સાંકળિયાનું ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું માંગી લીધું હોવાની વાતને સમર્થન આપી રાજીનામું માંગવાનું કારણ સ્પષ્ટ કર્યું ન હતું. જયારે, રાજીનામાની વાત વાયુવેગે બોટાદમાં પ્રસરતાં મોંઢા એટલી વાતો શરૂ થઈ હતી.
બીજી તરફ, ભાજપ પાર્ટી વ્યકિગત સંબંધ અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જેવી વાતથી નવનિયુક્ત હોદ્દેદારનું રાજીનામું માંગી લે તે વાત કાર્યકરોના ગળે ઉતરતી ન હોવાની ચર્ચા શરૂ થઈ છે.
જો કે, તાલુકા પ્રમુખ સાંકળિયાએ પોતાને રાજીનામું આપવા પક્ષ તરફથી શો કેઝ નોટિસ મળી ન હોવાનું કે પોતે પાર્ટી વિરૂદ્ધ કે કંઈ ખોટું કર્યું ન હોવાથી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાનો ઈન્કાર કરી દિધો હતો.